રાજ્યના મહાનગરોમાં જાહેરમાં ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને બંધ કરાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં લાયસન્સ વગર ચાલતી લારીઓને બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પત્ર લખી જાણ કરી છે કે, ગુજરાતની અસ્મિતા અને કર્ણાવતી મહાનગરની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખી શહેરના જાહેર માર્ગો, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય જગ્યાએ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણ તાત્કાલિક દૂર કરાવવા જરૂરી છે.
ગેરકાયદેસર ચાલતી લારીઓ સામે કાર્યવાહી
હાલમાં જાહેમાં માંસ, મટન, મચ્છી વેચાતા હોવાથી શહેરીજનોને માર્ગ પરથી નીકળી શકાતું નથી. આ ઉપરાંત શહેરીજનોની ધાર્મિક લાગણી પણ દુભાય છે. સ્વચ્છતા, જીવદયા અને સંસ્કૃતિનું પાલન કરવા પણ આ પગલું જરૂરી બન્યું છે. આ ઉપરાંત પશુઓ, મરઘી, મચ્છી વગેરેનું ગેરકાયદેસર રીતે કતલ કરી વેચાણ કરતાં હોવાનું જાણવા મળેલ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રૂલ્સ અને રેગ્યુ 2011 મુજબ રસોઈના સાધનો, ઓપરેશન, નિભાવ, સેનિટેશન, હાઈજીન, રેકડની જાળવણી વગેરે જોગવાઈઓનું પણ પાલન થતું નથી.
આવી જગ્યાઓ આરોગ્યની દ્રષ્ટિએ જોખમકારક તેમજ પ્રજાને ઉપદ્રવકારક હોઇ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ ના હોઇ વહેલામાં વહેલી તકે આવા દબાણના સ્થળોએ લેખિતમાં નોટીસ આપવીઅને તેમ છતાં જો દબાણ દૂર થાયતો જી.પી.એમ.સી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.